પાલજ જમીન સ્કેમ : ગાંધીનગર શહેરના પાલજ સ્થિત સર્વે નં. 281 જમીન માં સ્કેમ /કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર મામલે પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ જિલ્લા કલેક્ટરમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. પૂર્વ ધારાસભ્યએ કરેલી ફરિયાદમાં ધારાસભ્ય રમણલાલ વોરા ખોટા ખેડૂત સાબિત થયા છે, ત્યારે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.
રાજ્યના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ આ બાબતે સરકારી તંત્રને લેખિત રીતે ફરિયાદ કરી વિશેષ તપાસ અને કડક પગલાં લેવા માંગણી કરી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, વર્ષ 2004માં આ જમીન ચાર મોટા ભાગીદારોના સાથે ભાગીદારીમાં ખરીદવામાં આવી હતી. 2016 સુધી જમીનનો કાગળ ભાગીદારોના નામે રહ્યો અને ત્યારબાદ રમણલાલ વોરાએ પોતાને ખોટા ખેડૂત સાબિત કરી પેઢીનામાના આધાર પર પોતાની પત્ની અને બે દીકરાઓના નામે જમીનની નોંધણી કરાવી હતી.
વર્ષ 2024માં આ જમીન તેમના વ્યકિતગત મિત્ર દિનેશભાઈ પટેલને 3.7 કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી. વધુના સમયમાં દિનેશભાઈએ આ જમીન તાત્કાલિક એન.એ. જાહેર કરીને ફરીથી રમણલાલ વોરાના બે દીકરા સુહાગ અને ભુષણ વોરાને વેચી દીધી હતી.
આ જમીનની ખરીદી-વેચાણમાં જણાવેલી કિંમતો અને નાણા વ્યવહાર અંગે કરદાતાની IT રીટર્નમાં યોગ્ય રીતે નોંધણી કરવામાં આવી છે કે નહી તે અંગે ફરિયાદકર્તાએ તપાસ કરવાની તેમજ ટેક્ષ ચોરીના ગુનાની કાર્યવાહી કરવાની તાત્કાલિક માગ કરી છે. બોગસ ખેડૂત હોવાની રમણલાલ વોરા ઉપર લાગતી ફરિયાદ અને મામલતદારના લેખિત નિવેદનથી આ મામલો વધુ ગંભીર બનેલો જોવા મળે છે.
પૂનમ મકવાણાએ કલમ 63 અને 84-સી હેઠળ આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા તેમજ બાકીના સાચા ખેડૂત ભાગીદારોના નામે જમીન નોંધણી કરવાની પણ માગ કરી છે. આ ઉપરાંત બેંક અને ચેક સાથે સંબંધિત નાણા વ્યવહારો હજુ સુધી પૂર્ણ ન થયા હોવાના પણ આધારભૂત પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.
આ કૌભાંડ મામલે સંધર્ભિત સરકારી વિભાગો દ્વારા તાત્કાલિક તપાસનો આદેશ આપી યોગ્ય પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ અગાઉ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂકેલ રમણલાલ વોરા સામે બોગસ ખેડૂત તરીકે તેમના મતવિસ્તાર ઇડરમાં ફરિયાદ અને કેસ ચાલી રહ્યો છે.